Welcome to Vikram Charitable Trust
વાર્ષિક ૧૧ કર્તવ્ય એટલે બાર મહિનાનું સરવૈયું જેમ માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું આવે છે, ત્યારે વ્યાપારી પોતાના એકાઉન્ટ વ્યવસ્થિત કરી દે છે. કોઈ ભૂલચૂકમાં રહી ગયેલી રકમ ડેબીટ, ક્રેડિટમાં બરાબર ગોઠવીદે છે અને આગળના વર્ષનું અંદાજપત્ર તૈયાર કરે છે. તેવી રીતે પર્યુષણ વાર્ષિક પર્વ હોવાથી ધાર્મિક આત્મા વાર્ષિક કર્તવ્યોમાંથી કોઈ કર્તવ્ય બાકી રહી ગયું હોય, તો તે આ મહાપર્વના છેલ્લા અઠવાડિયામાં પૂર્ણ કરી દે છે અને ભવિષ્યમાં વાર્ષિક કર્તવ્યોનું અંદાજપત્ર તૈયાર કરી દે છે. એ હેતુથી આજે ધર્મસભામાં ૧૧ વાર્ષિક કર્તવ્યોનું વર્ણન કરવામાં આવે છે. કેમેરાના લેંસ ઉપર ધૂળ પડી ગઈ હોય, તો ફોટાઓ સારા ન આવે, માટે ધૂળ ખંખેરવી પડે, એવી રીતે આપણો આત્મા શિથિલ બની ગયો હોય, તો તેને ૧૧ કર્તવ્યના વર્ણનરૂપી વિટામીનનું ઇજેક્શન લગાડી આત્માની શિથિલતારૂપી ધૂળને ખંખેરીને ૧૧ કર્તવ્યો માટે કટિબદ્ધ થવું જોઈએ. વર્ષ દરમ્યાન તન-મન-ધનના મોહ તથા મમતાથી આત્મા શિથિલ બની ગયો હોય છે, તેથી ૧૧માંથી ૧૦ કર્તવ્યો ધનની મમતા ખંખેરવા માટે છે અને એક કર્તવ્ય આલોચના એ મનના અહંભાવને અને તેનાથી આવતું પ્રાયશ્ચિત્ત તપ ધનની મમતા ખંખેરવા માટે છે. તેથી આજે પર્યુષણ મહાપર્વના બીજે દિવસે વ્યાખ્યાનમાં શ્રાવકના ૧૧ મહાકર્તવ્યોનું વર્ણન કરવામાં આવે છે. વાર્ષિક ૧૧ કર્તવ્યોના નામો આ પ્રમાણે છે. (૧) સંઘપૂજન (૨) સાધર્મિક ભક્તિ, (૩) યાત્રાત્રિક, (૪) સ્નાત્ર મહોત્સવ, (૫) દેવદ્રવ્યશુદ્ધિ (૬) મહાપૂજા (૭) રાત્રિ જાગરણ, (૮) શ્રુતપૂજા, (૯) ઉપધાન, (૧૦) શાસન (તીર્થ) પ્રભાવના (૧૧) આલોચના. તેમાં ૧૦ કર્તવ્યનું પાલન કરવામાં ધનનો મોહ છોડવાનો હોય છે અને ૧૧મા કર્તવ્યમાં મનને સરળ બનાવવું પડે છે. વિષય અને કપાયથી કાળા મહોતા જેવા બનેલા આત્માનો મેળ આલોચના-પ્રાયશ્ચિત્તથી ધોવાય છે. (૧) પ્રથમ કર્તવ્ય સંઘ પૂજન : કેવલજ્ઞાની તીર્થકર ભગવાન સમવસરણમાં દેશના આપવા માટે “નમો તિત્થસ્સ” કહીને બેસે છે. તીર્થ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ, એવા સંઘને તીર્થંકર નમસ્કાર કરે છે. આવા સંઘમાંથી જ તીર્થંકર બન્યા છે, બને છે અને બનશે. આપણને પણ સંધની હૂંફ ધર્મ કાર્ય કરવામાં મળે છે. ઘણા વ્યક્તિઓ ધર્મ કરતાં હોય, ત્યારે આપણને પણ ધર્મ કરવાનું મન થાય છે. ધર્મી વગર ધર્મ રહી શકતો નથી. તેથી આવા ધર્મી સંઘના સંઘપૂજનથી અવશ્ય ભક્તિ કરવી જોઈએ. પુણ્યના ઉદયે આવા સંઘની ભક્તિ કરવા મળે છે ત્યારે ભક્તિ મુક્તિને ખેંચે છે. (૨) બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિ : સમાન ધર્મવાળો વ્યક્તિ સાધર્મિક કહેવાય છે. તેમાં કુલ જાતિનો કોઈ નિયમ નથી. બિહારમાં સરાક જાતિ અને ખંભાતની પાસે પટેલો સાધર્મિક છે. આર્થિક પરિસ્થિતિથી પીડાતાં સાધર્મિકને ઉદારતાથી ધન આપવું એ સાધર્મિક વાત્સલ્ય છે અને વ્યસન કે પાપથી પીડાતા સાધર્મિક ને વ્યસન કે પાપમાંથી મુક્ત બનાવી ધર્મમાં સ્થિર કરવો, એ ભાવ સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિક વાત્સલ્ય કરવાથી સમકિત નિર્મલ બને છે. પેથડ શાહ હાથી પર બેસીને રાજ દરબારમાં જતા, ત્યારે રસ્તામાં નવા સાધર્મિકને જોયા પછી તરત નીચે ઉતરીને તેને ભેટી આનંદ વ્યક્ત કરતાં. શાહ પદવીની રક્ષા માટે સાધર્મિકના ગૌરવ અર્થે ખેમા દેરાણીએ ૧૨ મહિના સુધી આખું. ગુજરાત જમાડ્યું હતું. સૌરાષ્ટ્રના સવચંદ શેઠ આર્થિક ભીંસમાં આવી ગયા, ત્યારે પોતાનું ખાતું અહમદાવાદના સોમચંદભાઈને ત્યાં નહોતું, છતાં તેમના પર હુંડી લખી દીધી. પણ લખતાં-લખતાં હુંડી પર આંસુનું ટીપું પડી ગયું હતું. તે જોઈને સોમચંદ શેઠે સાધર્મિક વાત્સલ્યથી તે હુંડી સ્વીકારી લીધી અને ખાતે રકમ લખ્યા વગર રકમ આપી દીધી. ચન્દ્રાવતી નગરીમાં જગસિંહ શ્રાવકે ૩૬૦ સાધર્મિકોને પોતાના જેવા કરોડપતિ બનાવ્યા. ઋષભદત્તે જુગારનો વ્યસની બનેલ જિનદાસને તે વ્યસન છોડાવી ધર્મનો આરાધક બનાવ્યો તેથી જંબુદ્વીપનો અધિષ્ઠાયક થયો. (3) યાત્રાત્રિક : (૧) અષ્ટાહ્નિકા યાત્રા : અઠ્ઠાઈ મહોત્સવ કે પંચાહ્નિકા મહોત્સવ વર્ષમાં એકાદ કરાવવો. આંગી રચાવવી અથવા પોતાની શક્તિ પ્રમાણે તેમાં રકમ આપવી. (૨) રથયાત્રા : સુવર્ણ કે ચાંદીના રથમાં પ્રભુજીને બિરાજમાન કરી અનેક વાંજિત્રો સાથે વરઘોડો કાઢવો, જેથી ધર્મની પ્રભાવના થાય. જેમ કુમારપાલ મહારાજા ચૈત્ર વદ-૮ના દિવસે રથયાત્રા કાઢતાં હતાં. (૩) તીર્થયાત્રા :- "તારે તે તીર્થ કહેવાય" તેની યાત્રા વર્ષમાં એકવાર કરવી અને કરાવવી. જેમ પેથડશાહ, સમરાશાહ, જાવડશા, કુમારપાલ, વસ્તુપાલ, તેજપાલ, ભરત, વિક્રમાદિત્ય મહારાજા વગેરે અનેક આત્માઓએ છ'રિ પાલક સંઘ કાઢી આ કર્તવ્ય બજાવ્યું હતું. તેમ વર્તમાન કાળમાં પણ થોડા વર્ષ પહલા રાજસ્થાનના માલગાંવ નિવાસી સંઘવી ભેરમલજી હકમાજીએ ૪૦૦૦ માણસોનો શત્રુંજય તીર્થથી ગિરનારનો વિશાળ છ'રિપાલક સંઘ કાઢીને આ કર્તવ્ય બજાવ્યું અને માલગાંવ નિવાસી શ્રી કે.પી. સંઘવી પરિવારે ૬૦૦૦ યાત્રિકોનો માંલગાંવથી રાણકપુરનો ઐતિહાસિક છ'રિપાલક સંઘ કાઢીને આ કર્તવ્ય બજાવ્યું. તીર્થ યાત્રામાં રાત્રિભોજન, કંદમૂળ, અભક્ષ્ય ભક્ષણ, ગંજીપાના, ફિલ્મીગીતો, વિડિયો, લડાઈ, ક્રોધ વગેરેથી દૂર રહેવું જોઈએ. (૪) સ્નાત્ર મહોત્સવ : કર્મમલને ધોવા માટે વર્ષમાં એકવાર અવશ્ય સ્નાત્ર મહોત્સવ કરવો જોઈએ. એ પ્રભુના જન્માભિષેકનું અનુકરણ છે. જેમ પેથડશાહે ગિરનારજી તીર્થ પર કર્યો હતો. ભાઈઓએ તેમાં ડાંડિયા રાસ વગેરેથી રમઝટ જમાવવી જોઈએ. બહેનોએ પુરુષોની જેમ જાહેરમાં ડાંડિયા ન લેવા જોઈએ. તે રાગ વગેરેનું કારણ હોવાથી મોટો દોષ લાગે છે. (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ : પ્રાચીન સેંકડો દેરાસરો જીર્ણ થઈ રહ્યા છે. નવા દેરાસર બંધાવવા કરતાં જૂના દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવવાથી આઠગણો લાભ મળે છે. જીર્ણોદ્ધાર કરાવવા માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. જેથી દેરાસર દેવ વિમાન જેવા થઈ જાય. તેના દર્શનથી લોકોનું સમ્યક્ત્વ નિર્મલ બને, જૈન શાસનનું ગૌરવ વધે, દેવદ્રવ્ય વૃદ્ધિના ઉપાયો :-તીર્થમાળ, ઉપધાનમાળ, ઘોડિયા પારણાની ઉછામણી વગેરે બોલીની રકમ પેથડશાહની જેમ તરત ભરપાઈ કરવી. પેથડશાહે ઉજામણી બોલીને ત્રણ દિવસ ઉપવાસ કરી તરત જ રકમ ભરપાઈ કરી હતી. (૬) મહાપૂજા : વર્ષમાં એક વાર સિદ્ધચક્ર મહાપૂજન, શાંતિસ્નાત્ર આદિ પૂજન ભણાવવા જોઈએ. આખા દેરાસરને શણગારવું જોઈએ જેથી ભગવાનની ભક્તિ અને તેથી મુક્તિ નજીક બને. (૭) રાત્રિ જાગરણ : પ્રથમ વાર મહાતીર્થના જે તિથિએ દર્શન થયા હોય, તે તિથિએ કે ભગવાનના પાંચ કલ્યાણકની તિથિએ કે ધર્મ પ્રાપ્ત કરાવનાર ગુરુના સ્વર્ગવાસની તિથિએ, વ્રતોચ્ચારણ, મોટી તપસ્યા, સૂત્ર વાંચન વગેરે તિથિએ રાત્રે ધર્મ જાગરણ એક પ્રહર સુધી પછી મૌન જાપ સાથે કરવું જોઈએ, પણ એ વખતે એક સાવચેતી રાખવી કે રાત્રિ જાગરણમાં ચા-નાસ્તો, ગંજીપા વગેરે, રેડિયો ગીત સાંભળવું વગેરે ન કરી શકાય. પુરુષો દાંડિયા રમી શકે. પણ ધર્મના નામે અધર્મને પોષણ આપનારી અને શીલભ્રષ્ટ સુધી પહોંચાડનાર છોકરા છોકરીઓ સાથે મળીને બન્ને ડાંડીયા ન જ રમવા જોઈએ, તે અનર્થનું કારણ છે. (૮) શ્રુતપૂજા : કુમારપાળ રાજાએ ૨૧ જ્ઞાનભંડારો નવા કરાવ્યા હતા. પૂજય કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ સાડા ત્રણ કરોડ શ્લોકોની રચના કરી. તેની ૭૦૦ નકલ કુમારપાળ રાજાએ કરાવી હતી. પેથડ શાહે ભગવતી સૂત્ર સાંભળતાં સાંભળતાં ૩૬૦૦૦ સોનામહોર શ્રુતભક્તિમાં ખર્ચી. આપણે પણ શાસ્ત્ર લખાવવા અને છપાવવા જોઈએ. જેથી શ્રુતભક્તિ થાય. પૂ. હરિભદ્રસૂરિજી વખતે રાત્ર ગ્રંથ વંચાય, તેવા અચિત્ત રત્નો લાવીને ઉપાશ્રયની અંદર દિવાલોમાં લલ્લગ શ્રાવકે ગોઠવ્યા હતા. આવી રીતે શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી જોઈએ. (૯) ઉધાપન : એટલે ઉજમમણું. કુટુંબમાં દર વર્ષે કોઈકને તપ પૂરો થાય, એવી રીતે જીવન જીવવાનું છે. તપ પૂર્ણ થયા બાદ દર્શન-જ્ઞાન-ચારિત્રની સામગ્રી લાવી ઉજમણું કરવું જોઈએ. જેમ મંદિર ઉપર કળશ અને ભોજન કર્યા બાદ મુખવાસ શોભે છે, એવી રીતે તપ કર્યા પછી ઉજમણું શોભે છે. પેથડશાહે નવકાર મંત્રનો તપ કર્યા બાદ ૬૮, ૬૮ રત્ન, ચાંદીના કલશ વગેરેથી ઉજમણું કર્યું હતું. મયણા સુંદરીએ બે વખત નવપદ ઓળીનું ઉજમણું કર્યું હતું. ઉજમણાથી સાધુ સાધ્વીજીની નિર્દોષ ઉપકરણોથી ભક્તિ થાય છે. (૧૦) શાસન (તીર્થ) પ્રભાવના : આનાથી જૈન શાસનની જાહોજલાલી થાય, જૈન શાસનનો ડંકો ચારે બાજુ વાગે, તેથી દશાર્ણભદ્ર રાજા અને કોણિક વગરેની જેમ ઠાઠમાઠથી પ્રભુને વંદન, ઉપકારી ગુરુના પ્રવેશના સામૈયા વગેરે વર્ષમાં એકવાર અવશ્ય કરાવા જોઈએ. પેથડ શાહે પૂ. આચાર્યદેવશ્રી ધર્મધોષસૂરીશ્વરજી મ.સા.ના નગર પ્રવેશ સામૈયામાં ૭૨૦૦૦ ટાંકનો ખર્ચ કર્યો હતો. રામજી શ્રાવકે ગુરુની વધાઈ આપનારને ૧૧ લાખ રૂપિયા આપી દીધા. જૈન શાસન બીજાના દિલમાં કેવી રીતે વસે? એનો પ્રયત્ન કરવો જોઈએ. (૧૧) આલોચના : વર્ષ દરમ્યાન થયેલા પાપોની શુદ્ધ ભાવથી જરાએ છુપાવ્યા વગર આલોચના કરવી જોઈએ. ભયંકર પાપો કર્યા હોય અને આત્મા કાળા મહોતા જેવો થઈ ગયો હોય , તો પણ આલોચનારૂપી સાબુથી શુદ્ધ થઈ શકે છે. કેન્સરની ગાંઠની ખબર પડતા તરત જ ઓપરેશન કરવામાં આવે, તો માણસ બચી જાય, પણ નાનો કાંટો જો કાઢવામાં ન આવે, તો સેપ્ટીક થયા પછી મરવું પડે છે. ભીનું કપડું ખુલ્લું કરવાથી જલ્દી સુકાઈ જાય છે. તેમ ગીતાર્થ ગુરુ પાસે હૃદય ખુલ્લું કરવાથી આત્માના પાપો પલાયન થઈ જાય છે. પાપોની આલોચના લીધા પછી કદાચ બીજી વખત તે પાપ થશે તો તેવું તીવ્ર નહિં થાય. પુષ્પચૂલા અને કામલક્ષ્મી ભયંકર પાપ કરવા છતાં પશ્ચાતાપપૂર્વક દુઃખિત હૃદયના ભાવથી આલોચના કરીને તેજ ભવે મોક્ષે ગયા છે. રુક્મિણી વગેરે આત્માઓએ પાપ છુપાવ્યું, તો એક લાખ ભવના શિકાર બની ગયા. અહંકાર છોડીને સરલભાવથી આલોચના લેનાર પાપી પણ પાવન બની જાય છે. વામન વિરાટ બની જાય છે. આલોચના લીધા પછી જે પ્રાયશ્ચિત્ત આવે, તેને પૂર્ણ કરવું જોઈએ. આવી રીતે આરાધના કરનાર સ્વર્ગ અને મોક્ષ સુખનો ભોક્તા બને છે.
View Details